WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

સુભાષચન્દ્ર બોઝ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ

 

સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રોહી બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજ નું નેતૃત્વ કર્યું હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે. ૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનો એક કુલીન પરિવાર માનવામાં આવતો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું.

બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુષુપ્ત દેશભક્તિ જાગૃત કરી.

25 વર્ષની ઉંમરે, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધમા ઘરેથી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતા.

મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનો ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતો. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી.

૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં સફળ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.

તેમના સાર્વજનિક જીવનમાં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વર્ષ કારાવાસમાં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.

૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટને મારવા માંગતા હતાં. તેમણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારીને મારી નાખ્યા. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોરથી રડ્યા. તેમણે ગોપીનાથનું શબ મંગાવી તેમના અંતિમસંસ્કાર કર્યા. આથી અંગ્રેજ સરકારે એવો નિષ્કર્ષ કાઢ્યો કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારીઓ સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓનું સ્ફૂર્તિસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમારની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યા.

૫ નવેમ્બર, ૧૯૨૫ ના રોજ, દેશબંધુ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યા. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.

મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવાથી ઇનકાર કરી દીધો. સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યા જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શક્શે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતિ એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું કારાગૃહમાં મૃત્યુ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યા. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.

૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતા. ત્યારે તેમને કોલકાતાના મહાપૌર(મેયર) તરીકે ચૂંટી લેવામાં આવ્યા. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.

૧૯૩૨માં સુભાષબાબુને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રાખવામાં આવ્યા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.

૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા.

યુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખવાની સાથે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તેઓ ઇટલીના નેતા મુસોલિનીને મળ્યા, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુંં વચન આપ્યું. આયરલેંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા.

જ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુંં. સુભાષબાબુ એ ત્યા જઈને પંડિત જવાહરલાલ નેહરૂને સાંત્વન આપ્યું.

ત્યારબાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યા. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજીના નેતૃત્વની બહુ ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયા, ત્યારે સુભાષબાબુએ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.

વિઠ્ઠલભાઈ પટેલે પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત, તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ વસિયતનો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં મુકદમો ચલાવ્યો. આ મુકદમો જીતી, સરદાર વલ્લભભાઈ પટેલે તે સંપત્તિ, ગાંધીજીના હરિજન સેવા કાર્યને ભેંટ આપી દીધી.

૧૯૩૪માં સુભાષબાબુને તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યા. રસ્તામાં કરાંચીમાં જ તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકારે તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધા.

1938માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરામાં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજીએ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુની પસંદગી કરી. કૉંગ્રેસનું આ ૫૧મું અધિવેશન હતું. તેથી કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત ૫૧ બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું.

આ અધિવેશનમાંં સુભાષબાબુનુંં અધ્યક્ષીય ભાષણ બહુ જ પ્રભાવી રહ્યુંં. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તિએ કદાચ જ આટલુંં પ્રભાવી ભાષણ કયારેય કર્યુંં હશે.

પોતાના અધ્યક્ષપદના કાર્યકાળમાંં સુભાષબાબુએ યોજના આયોગની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબુએ બેંગલોરમાંં મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યાની અધ્યક્ષતામાંં એક વિજ્ઞાન પરિષદ પણ યોજી હતી.

૧૯૩૭માંં જાપાને ચીન પર આક્રમણ કર્યુંં ત્યારે સુભાષબાબુની અધ્યક્ષતામાંં કાંગ્રેસે ચીની લોકોની સહાયતા માટે, ડૉ.દ્વારકાનાથ કોટણીસના નેતૃત્વમાંં વૈદ્યકીય પથક મોકલવાનો નિણય લીધો. આગળ જઈને જ્યારે સુભાષબાબુએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ માટે જાપાનનો સહયોગ લીધો, ત્યારે ઘણા લોકો તેમને જાપાનને આધીન અને ફૅસિસ્ટ કહેવા લાગ્યા. પણ આ ઘટનાથી એ સાબિત થાય છે કે સુભાષબાબુ ન તો જાપાનને આધીન હતા, કે ન તો ફૅસિસ્ટ વિચારધારાથી સહમત હતા.

૧૯૩૮માં ગાંધીજીએ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજીને સુભાષબાબુની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધનાંં વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.

૧૯૩૯માંં જ્યારે નવા કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબુ એવુ ઇચ્છતા હતા કે કોઈ એવી વ્યક્તિ અધ્યક્ષ બને, જે આ મામલામાં કોઈના દબાણ સામે ઝૂકે નહીં. એવી કોઈ બીજી વ્યક્તિ સામે ન આવતા, સુભાષબાબુએ પોતે કોંગ્રેસ અધ્યક્ષ બનવાનુંં વિચાર્યુંં. પણ ગાંંધીજી હવે તેમને અધ્યક્ષપદેથી હટાવવા માંગતા હતા. ગાંંધીજીએ અધ્યક્ષપદ માટે પટ્ટાભી સિતારમૈય્યાને પસંદ કર્યા. કવિવર્ય રવિન્દ્રનાથ ટાગોરજીએ ગાંંધીજીને પત્ર લખી સુભાષબાબુને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સહા જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબુને ફરીથી અધ્યક્ષના રૂપમાં જોવા ઇચ્છતા હતા. પણ ગાંંધીજીએ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈપણ પ્રકારનુંં સમાધાન ન થતા, ઘણા વરસો પછી, કાંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ.

બધા એમ માનતા હતા કે મહાત્મા ગાંંધીએ પટ્ટાભી સિતારમૈય્યાને સાથ આપ્યો છે, માટે તેઓ ચૂંટણી સરળતાથી જીતી જશે. પણ, સુભાષબાબુને ચૂંટણીમાં ૧૫૮૦ મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈય્યાને ૧૩૭૭ મત મળ્યા. ગાંંધીજીનો વિરોધ હોવા છતાંં સુભાષબાબુ ૨૦૩ મતોથી આ ચૂંટણી જીતી ગયા.

પણ ચૂંટણીથી પણ સમાધાન ન થયુંં. ગાંંધીજીએ પટ્ટાભી સિતારમૈય્યાની હારને પોતાની હાર કહી. તેમણે પોતાના સાથીઓને કહી દીધુંં કે જો તેઓ સુભાષબાબુના કાર્યપધ્ધતિથી સહમત નથી, તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારબાદ કાંગ્રેસ કાર્યકારિણીના ૧૪માંથી ૧૨ સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પંડિત જવાહરલાલ નેહરૂ તટસ્થ રહ્યા અને એકલા શરદબાબુ સુભાષબાબુની પડખે ઊભા રહ્યા.

૧૯૩૯નું વાર્ષિક કાંગ્રેસ અધિવેશન ત્રિપુરામાંં થયું. આ અધિવેશનના સમયે સુભાષબાબુ તીવ્ર તાવથી એટલા બીમાર પડી ગયા હતા, કે એમને સ્ટ્રેચર પર સુવડાવીને અધિવેશનમાં લાવવા પડ્યા. ગાંંધીજી આ અધિવેશનમાં હાજર ન રહ્યા. ગાંંધીજીના સાથીઓએ સુભાષબાબુને બિલકુલ સહકાર ન આપ્યો.

અધિવેશન પછી સુભાષબાબુએ સમાધાન માટે બહુ જ કોશિશ કરી. પરંતુ ગાંંધીજી અને એમના સાથીઓએ એમની એકપણ વાત ન માની. પરિસ્થિતિ એવી બની ગઈ કે સુભાષબાબુ કંઈ કામ જ ન કરી શક્યા. છેવટે કંટાળીને ૨૯ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ સુભાષબાબુએ કાંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું.

3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબુએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો પછી, સુભાષબાબુને કાંગ્રેસમાંંથી બરતરફ કરવામાં આવ્યા. પછી ફૉરવર્ડ બ્લૉક એની મેળે એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ.

દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં પહેલાં જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે તીવ્ર કરવા માટે, જનજાગૃતી શરૂ કરી. એટલા માટે અંગ્રેજ સરકારે સુભાષબાબુ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કેદ કરી લીધા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષબાબુ જેલમા નિષ્ક્રિય થવા નહોતા માંગતા. સરકારે એમને છોડી દેવા મજબૂર કરવા માટે સુભાષબાબુએ જેલમાંં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. ત્યારે સરકારે એમને જેલમાંંથી તો છોડી દીધા, પણ અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી કે સુભાષબાબુ યુદ્ધ દરમિયાન છુટા થાય. એટલા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકેદ કરીને રાખ્યા.

નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેઓ ૫ઠાણનો વેશ ધારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા. શરદબાબુના મોટા પુત્ર શિશિરે તેમને પોતાની ગાડીમાં ગોમોહ સુધી પહોચાડ્યા. ગોમોહ રેલ્વે સ્ટેશનથી ફ્રન્ટિયર મેલ પકડીને તેઓ પેશાવર પહોચ્યા. પેશાવરમાં તેઓને ફોરવર્ડ બ્લોકના એક સહકારી મિયા અકબર શહા મળ્યા. મિયા અકબર શહાએ તેઓની મુલાકાત કીર્તિ કિશાન પાર્ટીના ભગતરામ તલવાર સાથે કરાવી. ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા. આ સફરમાં ભગતરામ તલવાર રહમતખાન નામના પઠાણ અને સુભાષબાબુ એના બહેરા-મૂંગા કાકા બન્યા હતા. પહાડોમાં પગપાળા ચાલતા તેમણે આ સફર પૂર્ણ કરી.

કાબુલમાં સુભાષબાબુ બે મહિના સુધી ઉત્તમચંદ મલ્હોત્રા નામના એક ભારતીય વેપારીને ત્યાં રહયા. ત્યાં તેઓએ રૂસી દૂતાવાસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ નાકામિયાબ થયા, તેથી તેઓએ જર્મન અને ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, જેમાં તેઓ ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા. જર્મન અને ઇટાલિયન દૂતાવાસે તેમની મદદ કરી. આખરે ઓર્લાંંદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.

બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા . આ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના અનુશાસનમાં રહ્યા . નેતાજીએ આ દ્વીપોંનું " શહીદ ઔર સ્વરાજ દ્વીપ " એમ નામકરણ કર્યું .બંને ફૌજોએ માંડીને ઇંફાલ અને કોહિમા ઉપર આક્રમણ કર્યું .પણ પછી અંગ્રેજોંનો પલળો ભરી પડ્યું અને બંને ફૌજોને પાછળ હટવું પડ્યું .

જયારે આજ઼ાદ હિન્દ ફૌજ પાછળ હતી રહી હતી , ત્યારે જાપાની સેનાએ નેતાજીને ભાગી જવાની વ્યસ્થા કરી આપી . પરંતુ નેતાજીએ ઝાઁસી કી રાની રેજિમેંટની છોકરીઓની સાથે સૈકડો મિલ ચાલતા જવાનું પસંદ કર્યું .આ રીતે નેતાજીએ સાચા નેતૃત્વને એક આદર્શ જ બનાવીને રાખ્યું .

6 જુલાઈ, 1944ના આજાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીથી વાત કરતા કરતા , નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાની જંગ માટે એમનો આશિર્વાદ માંગ્યું . આ રતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને બોલાવ્યા.

દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.

૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.

23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો.દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .

સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .

1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .

18 ઓગસ્ટ , 1945ના દિન પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.

Post a Comment

0 Comments